જામનગર અપડેટ્સ : તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા વહીવટી તંત્રએ એક્શન પ્લેણ તૈયાર કર્યો છે. ‘તૌકતે’વાવજોડું ખુવારી વેરે તે પૂર્વે સરકારના વિવિધ વિભાગોને જરૂરી સૂચન તથા માર્ગદર્શન અને વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાએ પણ આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી છે.
જિલ્લામાં કરવામાં આવેલ આયોજનની વાત કરીએ તો, દરેક તાલુકા કક્ષાએ એક કલાસ-૧ અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં મહેસુલ તથા પંચાયતના કર્મીઓની ફાળવણી કરવામાં આવી છે. દરિયાથી ૫ કી.મી. તથા ૧૦ કી. મી.ની હદમાં આવેલ ૬૧ આશ્રયસ્થાનો નકકી કરાયા છે. જો જરૂરિયાત ઉભી થશે તો તેનો ઉપયોગ કરાશે.
જામનગર જિલ્લાના જુદા જુદા બંદરો પરથી માચ્છીમારી કરવા ગયેલ ૨૨૨ બોટ પૈકી ૩૭ બોટ પરત આવી ગયેલ છે જ્યારે બાકી ૧૮૫ બોટને પરત લાવવા તંત્ર દ્વારા મત્સ્યોદ્યોગ સંગઠનો મારફત સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં વસતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવા તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય વિભાગને પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમોને જરૂર પડ્યે અગરિયાઓને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી દેવામાં છે.વીજ પુરવઠો ન ખોરવાય તેમજ અગમચેતી રૂપે જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરવા પી.જી.વી.સી.એલ.ને પણ સૂચના આપવામાં આવી છે.
જ્યારે મહાનગરપાલિકા કમિશનરે પણ તમામ વિભાગોના અધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી. જેમાં ફાયર સહિતની ટીમોને બચાવ કાર્ય માટે જરૂરી સાધનસામગ્રી તૈયાર રાખવા, તરવૈયાની ટીમ, હોડીઓ, ટ્રીમિંગ મસીન, કોવિડ હોસ્પિટલમાં વીજળી જાય તો અલાયદી વ્યવસ્થા, તમામ શાળાઓમાં આશ્રય સ્થાનો ઉભા કરી દેવાયા છે.