જામનગર તા.20: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગઇકાલ સાંજથી પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 4માં તમામ સમિકરણોને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા આનંદ ગોહિલ, રચનાબેન નંદાણીયા, સુભાષભાઇ ગુજરાતી તથા સુષ્માબા જાડેજાની ધુરંધર, લડાયક, અનુભવી અને સેવાભાવી સંગમ સાથે પેનલ મેદાને ઉતારી છે. આ ચારેય ઉમેદવારોના લોકસંપર્કમાં પ્રજા તેમના ઉપર આફરીન થઇ તેમને જંગી બહુમતિથી ચૂંટી કાઢવા મક્કમ જોવા મળી રહી છે.

કોંગ્રેસની પેનલના આનંદ ગોહિલ, રચનાબેન નંદાણીયા, સુભાષભાઇ ગુજરાતી ઉચ્ચ અભ્યાસની ડિગ્રી ધરાવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઉતારાયેલ આ ઉમેદવારોની પેનલ સુશિક્ષીત હોય તેનો સ્વાભાવિકપણે લાભ વોર્ડ નં. 4ની સમગ્ર જનતાને મળશે. વોર્ડ નં. 4માં વિવિધ સમાજો દ્વારા કોંગ્રેસની પેનલના ચારેય ઉમેદવારોને ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. આનંદ ગોહિલ, રચનાબેન નંદાણીયા, સુભાષભાઇ ગુજરાતી અને સુષ્માબા જાડેજાને લોકસંપર્ક દરમિયાન જ મતદારોએ પોતાના વોર્ડના પ્રતિનિધિ તરીકે મોકલવા વચન આપી દીધા છે.
એક બાજુ અનુભવી એવા આનંદ ગોહિલ એડવોકેટ હોવાના નાતે જામ્યુકોના સત્તાધારીઓની કોઇ ખંધી ચાલ ચાલવા દેતાં નથી. તો બીજીબાજુ લડાયક અભિગમની સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ પાસેથી પ્રજા માટે કામ કરાવી અને લોકોની સેવા કરતાં રચના નંદાણીયા અને સુભાષભાઇ ગુજરાતી તથા સુષ્માબા પણ લોકસેવા સાથે જોડાયેલા હોય, આ પેનલ હરિફોના હાજા ગગડાવી નાખે તેવો માહોલ સર્જાયો છે.
કોંગ્રેસની પેનલના આ નામોથી લોકો ખૂબ જ પરિચિત છે. આનંદ ગોહિલ અને રચનાબેન દ્વારા જનરલ બોર્ડમાં લોકો માટે લડવાની વાત હોય. કે રસ્તા ઉપર ઉતરવાની વાત હોય, લોકપ્રશ્ર્નો માટે આ બંને લડાયક નેતા અગ્રેસર રહ્યાં છે. રચનાબેન નંદાણીયા અધિકારીઓ સાથે લોકપ્રશ્ર્ને રજુઆત કરતી વખતે અધિકારીઓને રિતસરના ધ્રુજાવે છે. પાછલી ટ્રમમાં પણ તેમણે લોકપ્રશ્ર્નો માટે અનેક ઐતિહાસિક લડતો ચલાવી હતી. તેમજ કમિશનરની ચેમ્બર સામે ધરણા પણ કર્યા હતાં. તો બીજીબાજુ સુભાષભાઇ ગુજરાતી તથા સુષ્માબાની લોકસેવાથી લોકો પરિચિત છે. તેમની લોકસેવા અને સેવાકિય કાર્યોથી લોકો ખૂબ પ્રભાવિત થયા છે.