દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં યોગેશ્વર નગરમાં રહેતા બે શખ્સોએ જામનગરના તિરૂપતિ સોસાયટીમાં રહેતા એક યુવાનને વ્યાજનો વિષ ચક્રમાં ફસાવી ધાકધમકી આપી મકાન લખાવી લીધાની પોલીસ દફતરમાં ફરિયાદ દાખલ થઈ છે. માતાની સારવાર માટે સવા લાખ રૂપિયાની રકમ 10% ના વ્યાજ લીધા બાદ રૂપિયા એક લાખ જેટલું વ્યાજ ભરી દેવા બાદ યુવાન આર્થિક સંકળામણમાં સપડાઈ જતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લઈને પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં ઠીકણા રોડ પર આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતા ભાવેશગર ગોસ્વામી એ 28 5 2019 ના રોજ ખંભાળિયામાં યોગેશ્વર વિસ્તારમાં રહેતા પરબતભાઈ વિક્રમભાઈ ભોચીયા નામના યુવાન પાસેથી રૂપિયા સવા લાખની રકમ 10% લેખે વ્યાજ લીધી હતી. પોતાની માતા ની સારવાર કરાવવા પેટે યુવાને ત્યાં જ રૂપિયા લીધા બાદ આઠ મહિના સુધી વ્યાજની ₹12,500 રકમ વ્યાજખોર પરબતને આપી હતી. દરમિયાન આર્થિક સ્થિતિ સારી ન રહેતા યુવાન વ્યાજની રકમ ભરવામાં નિષ્ફળ રહ્યો હતો, જેને લઈને આરોપીએ ખંભાળિયા ખાતે બરછાપાડામાં આવેલ યુવાનનું મકાન અને તેની પત્નીના ચેક લઈ લખાણ કરાવી લીધું હતું. આમ છતાં પણ આરોપીએ સવા લાખની મુદ્દલની ઉઘરાણી કરી અવાર-નવાર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે પૈસા વ્યાજે આપ્યા છે તે તેના કાકા વિપુલભાઈના હોવાનું આરોપી પરબતએ અરવિંદને જણાવ્યું હતું. ત્યારબાદ વિપુલભાઈએ પણ યુવાનને ફોન કરી, ધાક ધમકી આપી હતી. જે સંદર્ભે પોલીસે કાકા ભત્રીજા સામે ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.