જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકના ગાળા દરમિયાન અડધા ઇંચથી માંડી સવા છ ઇંચ વરસાદ વરસ્યો છે. આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાકના ગાળા દરમિયાન સૌથી વધુ સવા છ ઇંચ વરસાદ જોડીયામાં નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો દોઢ ઇંચ વરસાદ લાલપુર તાલુકા મથકે નોંધાયો છે. સચરાસર વરસાદના કારણે કાલાવડમાં આવેલ ઉંડ ત્રણ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.

જામનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ગઇકાલ સવાર 06:00 વાગ્યાથી માંડીને આજે વહેલી સવારના છ વાગ્યા સુધીના 24 કલાકના ગાળા દરમિયાન પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જોડિયા પંથકમાં સાંબેલા ધારે સવા છ ઇંચ વરસાદ પડી ગયો છે. જેના કારણે તાલુકામાં મથકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જ્યારે કેશીયા ગામે એક કાચું મકાન પડી ગયું હતું. જો કે કોઈ જાનહાની કે ઇજા થવા પામી ન હતી. બીજી તરફ ભારે વરસાદને લઈને નદીનાળા બે કાંઠે થયા હતા.
જ્યારે જામજોધપુરમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે સીદસર ખાતે આવેલ ઉમિયા સાગર ડેમનો એક દરવાજો ખોલવો પડ્યો હતા.

જ્યારે કાલાવડ તાલુકા મથકે પણ પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અમુક ગામોમાં પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું હતું. તો બીજી તરફ જામનગર શહેરમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગ્રામ્ય પંથકમાં બેથી ચાર ઇંચ જ વરસાદ પડી ગયો હોવાના સમાચાર છે. જેને લઈને મોટી બાણુગાર અને ચંદ્રગા ગામે નદીઓ બે કાંઠે થઈ હતી. તો ધ્રોલમાં પણ પોણા બે ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે લાલપુરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.

સચરાચાર વરસાદના કારણે જિલ્લામાં આવેલા 25 પૈકીના 7 ડેમમાં નવા નીરની આવક થઈ હતી. જેમાંનો કાલાવડ પંથકમાં આવેલ ઊંડા ત્રણ ડેમ ઓવર ફ્લો થયો હતો. જ્યારે ફોફળ બે ડેમ 90 ટકા ભરાઈ જતા છલકાઈ જવાની તૈયારીમાં છે.