જામનગર: જિલ્લાના પાંચ તાલુકાઓમાં અડધાથી ચાર ઇંચ આફતનો વરસાદ, ચાર માનવ મૃત્યુ,

0
325

જામનગર જિલ્લામાં ગઈકાલે છ તાલુકાઓમાં અડધા ઇંચ થી માંડી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વીજળી પડતા અને પુરના કારણે ચાર માનવ મૃત્યુ અને ૨૦ થી વધુ પશુઓના મૃત્યુ પણ નીપજ્યા છે. કાલાવડ પંથકમાં સૌથી વધુ વરસાદ ખાબકયો હતો , જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. છતર ગામે પુરમાં તણાયેલા પ્રૌઢને યુવાનોની ટીમેં હેમખેમ ઉગારી લીધા છે. જામનગર જિલ્લાના છ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પુરા થતા 24 કલાકના સવારના 6:00 વાગ્યાના ગાળા સુધીમાં અડધાથી માંડી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં જામનગર તાલુકાના જામણોથલી મોટી ભલસાણ ગામે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જોડીયા તાલુકાના પીઠડ અને બાલંભા ગામે એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.
ધ્રોલ તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે વરસાદ નોંધાયો નથી. જ્યારે કાલાવડ તાલુકા અને પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો જેમાં ખરેડી ગામે ચાર ઇંચ જ્યારે નવા ગામમાં પોણા બે ઇંચ મોટા પાંચ દેવડામાં અડધો ઇંચ વલસાણ બેરાજા ગામે પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે જામજોધપુર તાલુકાના સમાણા ગામે અડધો ઇંચ અને શેઠ વડાળામાં ત્રણ ઇંચ વાંસડિયામાં સવા ઇંચ ગુંદડામાં પોણા બે ઇંચ ધ્રાફામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જામવાડી અને પરડવામાં પણ સારો વરસાદ પડ્યો હતો.લાલપુર તાલુકાની વાત કરવામાં આવે તો પીપરટોડા અને હરીપરમાં અડધો ઇંચ જ્યારે મોટા ખડબા ગામે એક ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો હતો જ્યારે ભણગોર ગામે પણ ઝાપટા પડ્યા હતા.


જિલ્લાના છએ તાલુકા મથકોની વાત કરવામાં આવે તો ગઈકાલે એટલે કે છેલ્લા 24 કલાકના ગાળા દરમિયાન ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કાલાવડ તાલુકા મથકે પોણા બે ઇંચ વરસાદ થયો હતો, જયારે લાલપુરમાં એક ઇંચ અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. મોસમના કુલ વરસાદની વાત કરવામાં આવે તો, જિલ્લામાં સમાંતર અઢી ઇંચ વરસાદ થયો છે. જેમાં જામનગરમાં પોણા બે ઇંચ, જોડીયામાં એક ઇંચ, કાલાવડ અને લાલપુરમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધ્રોલમાં હજુ વરસાદનું આગમન થયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here