જામનગર: બંધ બારણે જુગાર રમતા ચાર વેપારી પકડાયા

0
742

જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં આવેલા વાછરા દાદા ના મંદિર પાસે રહેતા એક શખ્સના ઘરે દરોડો પાડી એલસીબી પોલીસે જુગાર રમી રહેલા 4 વેપારીઓને પકડી પાડ્યા છે. પોલીસે ચારેય શખ્સોના કબજામાંથી રૂપિયા ૩૯ હજારની રોકડ કબજે કરે છે. આ દરોડા દરમિયાન પોલીસને જોઈ બે શખ્સો નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ શખ્સો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ પાર્ક, વાછરા દાદાના મંદિર વાળા મકાનમાં અજયસિંહ સુરેન્દ્રસિંહ સોલંકી નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી તીન પત્તીનો જુગાર રમતો રમાડતો હોવાની ચોક્કસ હકીકત એલસીબીને મળી હતી. આ હકીકતના આધારે પીએસઆઇ કે કે ગોહિલ સહિતના સ્ટાફે આ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીએ ગઈકાલે સાંજે પાડેલા દરોડા દરમિયાન મકાન અંદર જુગાર રમી રહેલા મકાનમાલિક અજયસિંહ સોલંકી ઉપરાંત રમણ પાર્ક શેરી નંબર 7 રાજપાર્ક પાછળ રહેતા વેપારી નરસિંગર જેઠીગર ગોસાઈ, ભોઈના ઢાળીયા પાસે, સુભાષ માર્કેટ પાસે કુંડલીયા ફડીમાં રહેતા વેપારી ધર્મેન્દ્રલાલ મોહનલાલ કુંડલીયા અને આણદા બાવાના ચકલા પાસે કચેરી ફળીમાં રહેતા નિલેશ વલ્લભભાઈ પઢીયાર નામના ચાર વેપારી શખ્શો આબાદ પકડાઈ ગયા હતા.

આ તમામ શખ્સો ગંજી પત્તાના વડે તીનપતિ રોન પોલીસ નામનો જુગાર રમી, પૈસાની હાર જીત કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ શખ્સના કબજામાંથી રૂપિયા ૩૯ હજારની રોકડ કબજે કરી હતી. પોલીસના દરોડા દરમિયાન કાલાવડ નાકા બહાર, રંગવાલા હોસ્પિટલ પાસે, ટીટોડી માં રહેતો બશીર ઉર્ફે બલો રહીમભાઈ મેતર અને જામનગર તાલુકાના મોડપર ગામે રહેતો લાલસૂર ઉર્ફે લાલો હીરાભાઈ ચારણ નામના શખ્સ ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બન્ને શખ્સોને ફરાર જાહેર કરી, તમામ શખ્સો સામે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS