જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાં ધાર્મિક પ્રસંગની ઉજવણી વખતે ટોળાએ પોલીસને બાનમાં લઇ મચાવેલ દંગલ પ્રકરણમાં પોલીસે ૧૭ નામધારી સખ્સો સહિતના ટોળા સામે હત્યા પ્રયાસ અને રાયોટીંગ તેમજ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોચાડવા સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનિય છે કે, ટોળાના હુમલાને પગલે પોલીસે સલાયાને પોલીસ છાવણીમાં તબદીલ કર્યું છે.
સલાયામાં ધાર્મિક પ્રસંગની ઉજવણી દરમિયાન ફેલાયેલ અફવાઓને લઈને ઉજવણીમાં વ્યસ્ત લોકોએ પોલીસને બાનમાં લઇ હિંસા પર ઉતરી આવ્યા હતા. જેમાં ટોળાએ પોલીસ સાથે હાથાપાઈ કરી ધોલધપાટ કરી હતી. આ ઉપરાંત પોલીસના સરકારી અને ખાનગી વાહનોને નિશાન બનાવી ટોળાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું વસ્ત્રાહરણ કર્યું હતું. આ બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધીકારીઓનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો અને સ્થિતિને નિયત્રિત કરવા ટીયરગેસના સેલ છોડ્યા હતા. પોલીસે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વાયરલ થયેલ વિડીઓ અને જે તોફાની તત્વોને ઓળખી કાઢી ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં સ્પષ્ટ થયું બનાવનું કારણ
મહોરમના તહેવારની ઉજવણી માટે ઈમામ ચોકમાં એકત્ર થયેલ આરોપીઓએ કોરોનાની ગાઈડ લાઈનના છોતરા ઉડાવ્યા હતા. ધાર્મિક કાર્યક્રમોમાં ૪૦૦ની સંખ્યા મર્યાદા સામે સેકડો લોકો એકત્ર થયા હતા. આ સખ્સોને પોલીસે ચેતવણી આપવા છેટા જાહેરનામા વિરૂધ્ધમાં જઇને જાણીજોઇને કાયદાનો ભંગ કરી મહોરમની ઉજવણી કરવામાં મશગુલ રહ્યા હતા. આશરે ૧૦૦૦ થી ૧૫૦૦ જેવી મોટી સંખ્યામાં સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવ્યા વગર અને માસ્ક પહેર્યા વગર શસ્ત્ર ધારણ કરીને હિંસક ટોળા સ્વરૂપે એકઠા થવાની મનાઈ હોવા છતાં એકબીજાને મદદદગારી કરી, ઉશ્કેરણી કરી, મનાઇ હોવા છતાં તાજીયા માતમમાંથી બહાર કાઢી સરઘસ કાઢવાની ચેષ્ટા કરી હતી. જેને લઈને પોલીસે તેઓને સમજાવટથી રોકવા પ્રયત્ન કર્યો હતો. જેની સામે ટોળાએ હિંસક સ્વરૂપ ધારણ કરી સરકારી વાહન જીપ પર હુમલો કરી, જીપમન સ્ટાફની ગેરકાયદેરસ અટકાયત અવરોધ કરી, તેમાં બેઠેલા અધિકારી-કર્મચારીઓને જબરદસ્તીથી બળપૂર્વક નીચે ઉતારી, જીપનો અનઅધિકુત કબજો લેવા માટે હિંસક હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઈ પાસેથી રૂપિયા દસ હજારની રોકડ ભરેલ પર્સ બળજબરીપૂર્વક ઝુંટવી લેવાયું હતું તેમજ સ્ટાફના માણસોને નાની મોટી તેમજ ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી ઘાયલ કર્યા હતા. આ ઉપરાંત સરકારી વાહન જીપને દુર લઇ જઇ તેમજ સ્ટાફના ખાનગી મોટર સાયકલોને પોતાની પાસેના હથિયારોથી નુકસાન પહોંચાડ્યુ હતું. પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા તથા જી.આર.ડી. સભ્ય દિલીપભાઇ વઘોરાને જાનથી મારી નાખવાના ઇરાદે આરોપીઓએ હિંસક હથિયારથી હુમલો કરી ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત પોલીસ તથા જી.આર.ડી. સભ્યો ઉપર છુટ્ટા પથ્થરો તથા લાકડીઓ, પાઇપો વડે શરીરના સંવેદનશીલ ભાગો પર તથા માથાના ભાગે ફટકારી હિંસક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી ફરજમાં રુકાવટ કરી હતી.