જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામે આવતીકાલથી એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાનો નિર્ણય ગ્રામપંચાયત દ્વારા લેવામાં આવ્યો છે. સતત વધતા કોરોના દર્દીઓના ગ્રાફને લઈને આવશ્યક ચીજ વસ્તુઓ અને સરકારી ધારાધોરણો મુજબની છૂટછાટ સિવાય તમામ સુવિધાઓ એક સપ્તાહ સુધી પ્રતિબંધિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના બાદનપર ગામે કોવીડ ૧૯ની મહામારીને લઈને આવશ્યક નિર્ણય કર્યો છે. નાના એવા ગામમાં સતત વધતા જતા કોરોનાના કેસ બાદ ગઈ કાલે સીદસર ઉમિયાધામ દ્વારા સામુહિક રેપીડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ૧૬૦૦ નાગરિકોની વસ્તી ધરાવતા બાદનપર ગામે દિવસ દરમિયાન ૧૮૦ ગ્રામજનોએ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં ૧૬ ગ્રામજન પોજીટીવ જાહેર થયા હતા. એક સાથે ૧૬ દર્દીઓ સામે આવતા ગ્રામપંચાયત દ્વારા તાત્કાલિક મીટીંગ બોલાવી રોગચાળાને નાથવા યોગ્ય પગલા ભરવા ચર્ચાઓ કરવામાં આવી હતી. ચર્ચાઓના અંતે કોરોના સંક્રમણ ખાળવા માટે ગ્રામપંચાયત દ્વારા આગામી તા. ૧૯ સુધી સંપૂર્ણ લોકડાઉનની અમલવારી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામપંચાયત દ્વારા કરાયેલ જાહેરાત મુજબ, બાદનપર ગામમાં તારીખ:-13/05/2021ના રોજ બપોરના 12 વાગ્યાથી તારીખ:-19/05/2021 સુધી ગામમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે છે.તારીખ :-20/05/2021 ના રોજથી દુકાનો તથા શાકભાજીની દુકાનો રાબેતા મુજબ ખુલશે. કોરોનાની સંક્રમણની ચેન(કડી) તોડવા માટે આ સ્વૈચ્છિક લોકડાઉનનું ચુસ્તરીતે પાલન કરી કોરોનાના જીવલેણ ચેપને આગળ વધતો અટકાવવામાં મદદ રૂપ થવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે. લોકડાઉનલોડ દરમિયાન આરઓ પ્લાનમાં પાણી ભરવાનો સમય સવારે 7:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધીનો રહેશે તેમજ દૂધની ડેરી રાબેતા મુજબ ખુલ્લી રાખવા નિણર્ય કરવામાં આવ્યો છે. જયારે સરકાર દ્વારા કોરોનાની જે ગાઈડલાઈન બનાવવામાં આવી છે તેનું સંપૂર્ણ પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.