જામનગર : જામનગરની જીજી હોસ્પીટલમાં આજે સવારે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓના ૧૭૪ શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ પરીક્ષણ અર્થે આવ્યા હતા. જેમાં જામનગરના ૨૪, પોરબંદરના ૪૪, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૩૮ અને મોરબી ૬૮ દર્દીઓના નમુનાઓનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના બે દર્દીઓ પોજીટીવ જાહેર થયા છે. જેમાં અમદાવાદથી શહેરમાં આવેલ ૩૦ વર્ષીય પુરુષ અને મુંબઈથી આવેલ ૨૭ વર્ષીય યુવાન પોજીટીવ જાહેર થયા છે. જો કે બંનેની બાબતમાં જામનગર શહેર માટે હકારાત્મક બાબત એ છે કે બંને ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાથી અને ક્વોરેન્ટાઈન હોવાથી લોકલ સંક્રમણ ન હોવાનો તંત્રએ દાવો કર્યો છે. મુબઈથી આવેલ યુવાન મૂળ જામનગરનો જ છે અને અહી જ રહે છે પરંતુ મુબઈ ગયા બાદ પરત આવ્યે પોજીટીવ જાહેર થયા છે. જામનગર જીલ્લાના અત્યાર સુધીના કુલ ચિત્રની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ ૬૩ દર્દીઓ નોંધાયા છે જેમાં ત્રણ બાળક દર્દીઓના મૃત્યુ નીપજયા છે જયારે કોવિડ હોસ્પીટલમાં દસ એક્ટીવ દર્દીઓ દાખલ છે જયારે ૪૭ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતા રજા આપી દેવામાં આવી છે.