જામનગર: જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામના એક રીક્ષા ચાલક સાથે દરેડના બે સખ્સોએ યુવતી સાથે મળી લગ્નના નામે સાડા ચાર લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સાડા ચારેક લાખ રૂપિયા પડાવી લઇ સખ્સોએ કોર્ટમાં લગ્નના બદલે મૈત્રી કરાર કરાવી દઈ થોડો સમય યુવતીને યુવાનના ગામે મોકલી પછી યુવતીને લઇ જઈ રૂપિયા પરત ન કરતા મામલો પોલીસ દફતર સુધી પહોચ્યો છે.
કાલાવડ તાલુકાના રણુજા-વોડીસાંગ ગામે રહેત ચેતનભાઇ સીંઘાભાઇ રૂપાભાઇ મકવાણા (ભરવાડ)ના પ્રથમ વિવાહ થયા બાદ છૂટાછેડા થઇ ગયા હતા. દરમિયાન પરિવાર સમાજમાં જ તેના લગ્ન થાય તે માટે સબંધીઓને પૂછતાં રહેતા હતા. દરમિયાન બજરંગપુર ગામના બાબુભાઈ ગમારાએ દરેડ ગામે એક નાતરું હોવાનું કહી પરિવારને સબંધ કરાવી દેવાની વાત કરી હતી. દરેડ ગામે રહેતા કાનાભાઇ બાંભવા તથા દુદાભાઇ ટોયટા સાથે રહેતી નયનાબેન ટાંક સાથે સંબંધની વાત ચલાવેલ, જો કે ત્રણેય સખ્સોએ લગ્ન પૂર્વે સાડા છ લાખ રૂપિયાની માંગણી કરી સોના ચાંદીના દાગીના ચડાવવાની વાત કરી હતી ત્યારબાદ હિંદુ વિધિ મુજબ લગ્ન કરાવી દેવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ મછો બેરાજા ગામે મંદિરે ત્રણેય સખ્સોને સાડા ત્રણ લાખ રૂપિયા આપી ચેતનભાઈ અને નયનાએ હિંદુ વિધિ મુજબ ફૂલહાર કર્યા હતા. પરંતુ દરેડના બંને સખ્સોએ પુરા રૂપિયા ચુકવ્યે લગ્ન થશે એમ કહ્યું હતું. ત્યારબાદ આ સખ્સોએ જામનગર ખાતે મૈત્રી કરારનું લખાણ કરાવી બધા રૂપિયા આપ્યે લગ્નનો વાયદો કર્યો હતો.
દરમિયાન બાબુભાઈ ચેતનના ઘરે જઈ એક વખત દસ હજાર અને બીજી વખત દરેડના બંને સખ્સોએ પહોચી એક લાખ રૂપિયા લઇ ગયા હતા. ફૂલહાર કરાયા બાદ નયના પણ ચેનતના ઘરે રહેવા ચાલી ગઈ હતી. પરંતુ થોડા સમયમાં જ મને ગમતું નથી એવી વાતો કરી ઘર કંકાસ કરી બોલાચાલી કરવા લાગી હતી. જેથી ભરવાડા પરિવાર દરેડના બંને સખ્સોને ઘરે બોલાવી બધી વાત કરી હતી. હિંદુ વિધિ મુજબ લગ્ન કરાવી આપશે એમ વાયદો કરી બંને સખ્સો નયનાને પણ પોતાની સાથે દરેડ ગામે લઈ ગયા હતા. જો કે સમયજતા આ સખ્સોએ લગ્ન નહી કરાવી આપી રૂપિયા પરત માંગતા એ પણ પરત કર્યા ન હતા. જેથી ત્રણેય સખ્સો સામે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં અરજી કર્યા બાદ ભોગગ્રસ્ત પરિવાર તરફથી ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નયનાના લગ્ન પણ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલાપ્યાપુર તાલુકાના રાણ ગામે થયા હત્યા પરંતુ દંપતી વચ્ચે મનમેળ નહી થતા નયનાના છુટાછેડા થઇ ગયા હતા.