જામનગર: સંસારના તમામ સબંધોમાં મિત્રતાને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. નીર્સ્વાર્થ મિત્રતાના અનેક દાખલાઓ સમાજ સમક્ષ છે. એ સતયુગની વાત હોય, દ્વાપર યુગ હોય કે પછી કળિયુગ હોય. મિત્રતાની સોડમ હંમેશા નીખરીને બહાર આવી જ છે. મિત્રતા માટે અનેક મિત્રોએ હસતા મોઢે ખુવારી સહન કરી લીધી છે. મિત્રતા માટે પોતાના જાન પણ આપી દીધાના ઉદાહરણ છે. ત્યારે મૃત્યુ પામેલ મિત્રનો વિરહ સહન નહિ થતા એક મિત્રએ મિત્ર સુધી પહોચવા અગ્નિસ્નાન કરી લઇ પોતાના જીવની આહુતિ આપી છે.
આ અતિ કરુણ અને લાગણીના સીમાડાઓ વટાવતો બનાવ છે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના સામોર ગામનો, અહી રહેતા અને સાથે જ ઉછરેલા એક બીજાના દુખ દર્દને સારી રીતે સમજતા બે યુવાનો વચ્ચે ગાઢ મિત્રતા થઇ, પરબતભાઈ રામદેભાઈ ચાવડાના ૩૩ વર્ષીય પુત્ર રાણાભાઈ અને દેવુંભાઈ વચ્ચે આ મિત્રતા એટલી ગાઢ બની કે એક બીજા વગર એક પલ પણ સહન ન કરતા, એક બીજાના સુખ દુખ, આશા-નિરાશા અને તડકા છાયામાં સાથી બનેલા બંને મિત્રો વચ્ચે કુદરત બધા બની, બન્યું એવું કે દેવુંભાઈનું અવસાન થયું, તાજેતરમાં મિત્રનું અવસાન થયા બાદ રાણાભાઈ ગુમસુમ રહેવા લાગ્યા. જે મિત્ર વગર એક ઘડી ન રહેવાતું એ મિત્ર વગર હવે આખી જીંદગી રહેવું પડશે, સતત એવા વિચારો વચ્ચે મિત્રથી મિત્ર વગર ન રહેવાયું અને મિત્ર સુધી પહોચવા અંતિમ પ્રયાસ કર્યો. રાણાભાઈએ ગત મિત્રના વિયોગમાં પોતે પોતાની જાતે શરીરે પેટ્રોલ છાટી સળગી ગયા હતા. આ બનાવની જાણ થતા પરિવારજનોએ રાણાભાઈને હોસ્પિટલ પહોચાડ્યો પણ તેમનું સારવાર દરમીયાન મૃત્યુ નીપજ્યું, મિત્ર પાછળ મિત્રએ પોતાની જાન આપી દેતા નાના એવા ગામ સહીત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.